શીખ ધર્મના સ્થાપક ગુરુનાનક દેવ, શીખ ધર્મના દસમાં ગુરુ ગોવિંદસિંઘ, સિંધી સંત સ્વામી લીલા શાહ, દેશના રાજકીય આગેવાનો રામ મનોહર લોહિયા, ગુલઝારીલાલ નંદા (પૂર્વ પ્રધાનમંત્રી), લાલજી ટંડન, આર.કે.ધવન, જાણીતા કલાકાર સમીર ખખ્ખર, અનુપ જલોટા, પત્રકાર નીરુ દેસાઈ, રતિલાલ જોગી, લેખક મુલ્કરાજ આનંદ, ગુલશન નંદા, ચંદ્રકાન્તાના સર્જક દેવકીનંદન ખત્રી, જાણીતા કવિ બળવંતરાય ઠાકોર(બ.ક.ઠાકોર), પ્રિયકાંત મણિયાર ચિત્રકાર કનુ દેસાઈ, હિરાલાલ ખત્રી, કાર્ટૂનીસ્ટ ચકોર, સિને જગતના મહાન કલાકાર પૃથવીરાજ કપૂર, રાજકપૂર, સમ્મીકપુર, શશીકપૂર, અનિલકપુ, જીતેન્દ્ર, દેવઆનંદ,વિનોદ ખન્ના, રાજેશ ખન્ના, ઓમપુરી, કબીર બેદી, ગોવિંદા, જાણીતી અભિનેત્રીઓ કરિશ્મા અને કરીના કપૂર, રવિના ટંડન, ગાયક કલાકાર કુંદનલાલ સાયગલ, મહેન્દ્ર કપૂર. આપણા દેશના જાણીતા આ નામો બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિના છે. ભારતભરમાં પથરાયેલા આ જ્ઞાતિ સામાન્ય રીતે ખત્રી જ્ઞાતિ તરીકે જ ઓળખાય છે. આ બ્રહ્મક્ષત્રિયની ઓળખ અને ઈતિહાસ રજુ કરતાં પુસ્તકો મોટે ભાગે હિન્દી અને અંગ્રેજીમાં ઉપલબ્ધ છે.ગુજરાતીમાં આ પ્રકારનું સાહિત્ય બહુ અલ્પ પ્રમાણમાં મળે છે. ગુજરાતીમાં ગણ્યાં ગાંઠ્યા જે પુસ્તકો મળે છે તેમાં ૧૯૨૭માં પ્રસિદ્ધ થયેલ ઇતિહાસકાર ઠાકુર કાશીનાથ ગોવિંદનું ‘બ્રહ્મક્ષત્રિયનો ઉજ્જવળ ઈતિહાસ’, કરાચીથી હાજી યુસુફ અલ્લારખા પટેલનું પુસ્તક ‘ખત્રી ઈતિહાસ’ના બે ભાગો અનુક્રમે ૧૯૭૫ તથા ૧૯૭૭માં પ્રસિદ્ધ થયેલ છે. અમદાવાદના લેખક અશોક ચંદુલાલ ઠાકોરનું પુસ્તક ‘બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિનો ઈતિહાસ અને રીવાજો’ ૧૯૮૬માં પ્રસિદ્ધ થયેલ છે. તો તાજેતરમાં કચ્છ માંડવીના જાણીતા સાહિત્યકાર શ્રી નારાયણ શનીશ્ચરાએ ઉપલબ્ધ તમામ સાહિત્યોના નીચોડ સ્વરૂપ “બ્રહ્મક્ષત્રિય ઈતિહાસ ગાથા” નામનું પુસ્તક આપી એક ઉપયોગી કાર્ય કર્યું છે, શ્રી કચ્છી બ્રહ્મક્ષત્રિય પંચાયત, મુંબઈ દ્વારા પણ ૧૯૭૪ અને ૧૯૯૫માં ‘આપણો પરિચય’ નામક પ્રકાશન દ્વારા જ્ઞાતિનો ઈતિહાસ અને કેટલીય ઉપયોગી સામગ્રી પ્રસિદ્ધ કરી જ્ઞાતિનો સારો એવો પરિચય કરાવ્યો છે.

અનેક જ્ઞાતિઓનો ઈતિહાસ જેમ દંતકથાઓમાં અટવાયેલો રહે છે તેનાથી આ જ્ઞાતિ પણ પર નથી. ભારતમાં વર્ણ વ્યવસ્થાની પ્રગતિ આર્યોના આગમન સાથે થઇ હોવાનું જોઈ શકાય છે. એ સમયની વર્ણ વ્યવસ્થા જન્મ આધારિત હોઈ પાછળથી અનેક પ્રશ્નોને કારણે બ્રાહ્મણો અને ક્ષત્રિયોમાં સંઘર્ષો થયા હોવાનું ઇતિહાસે નોધ્યું છે. અને એ ક્ષત્રિયોમાં પણ કાળ ક્રમે અનેક ફાંટા પડેલા નોધાયા છે. બોદ્ધ ધર્મના વિકાસ પછી બોદ્ધ ધર્મને લાખો લોકોએ અપનાવેલ અને આ કારણે ક્ષત્રિય સમાજ પણ બે ભાગમાં ફંટાઈ ગયો અને વૈદિક અને બીજો અવૈદિક. ત્યારબાદ ઈ.સ. પૂર્વે ૩૨૦ના સમયમાં ચન્દ્રગુપ્તનું શાસન આવતાં તેનું શાસન સમગ્ર ઉતર ભારતમાં ફેલાઈ ગયું તેણે પોતાની સતાના જોરે ક્ષત્રિય જાતિને પોતાને વશ કરી લીધી, વર્ણ વ્યવસ્થાને વેર વિખેર કરી દીધી. આ પછી ચન્દ્રગુપ્તનો પુત્ર સમ્રાટ અશોક સતામાં આવતાં અહિંસની નીતિએ ક્ષત્રિયોના મહત્વને મૃતપાય કરી દીધું. સને. ૬૦૦ના અરસામાં શકરાચાર્યે ભારત ભ્રમણ કરી વેદોનો પ્રચાર કર્યો અને ક્ષત્રીય જાતિનું પુનરૂત્થાન કર્યું પરંતુ આ સમયે ક્ષત્રિય સમાજ વધુ એક વિભાગમાં વહેચાઈ જતાં તેના ત્રણ ભાગ થયા. ૧) વૈદિક, ૨) અવૈદિક અને ૩) ક્ષત્રિ જે આર્યો ન હતા પરંતુ સેનાના કાર્યમાં સંલગ્ન હતા. પહેલી જાતિના લોકો અને તેના સારસ્વત પુરોહિત પંજાબમાં આવીને વસ્યા, બીજા બિહાર અને અવધમાં આવીને વસ્યા અને ત્રીજા રાજપૂતાનામાં વસ્યા. તેઓ પોતાને રામચન્દ્રજીના વંશજ માનતા હતા. વાસ્તવમાં ત્રણે કુળના જ હતા, પરંતુ અલગ અલગ પ્રકારના. જે ક્ષત્રિ પંજાબમાં જઈને વસ્યા તે વૈદિક અને આર્ય જાતિના હતા એ બધા ખત્રી તરીકે ઓળખાયા.

ખાત્રીઓનો વાન, કદ અને નાકની સુડોળતા જ તેઓં મૂળ આર્ય કુળના હોવાનું પ્રતિપાદિત કરે છે. પોતાને સૂર્યવંશી ક્ષત્રિય ગણાવતા બ્રહ્મક્ષત્રિય-ખત્રીઓ ભાટના ચોપડે પણ એજ રીતે નોધાયેલા છે અને પશ્ચિમના ઈતિહાસકારો પણ એ વાતનું સમર્થન કરે છે. ભવીશ્યોતર પુરાણના અધ્યાય ૪૦ અને ૪૧ન કથન અનુસાર પરશુરામે ક્ષત્રિયોનો એકવીસવાર સંહાર કરેલ. આખરે તેઓં પંજાબ ગયા અને સંહાર કરવા લાગ્યા. તેમનો સામનો બરાબર કરવામાં આવ્યો ત્યારે તેમના પર વિશેષ ક્રોધ સવાર થયો. વૃદ્ધો-બાળકો અને સ્ત્રીઓ બધા હેરાન પરેશાન થઇ ગયા. એક સંધર્માં નાગનો વૈશ્ય જે ક્ષત્રિયોનો મિત્ર હતો, તેણે ક્ષત્રિયોને આશરો આપ્યો હોવાથી જાણ પરશુરામને થતાં ફરશી લઈને પહોચી ગયા. એ સમયે સારસ્વત બ્રાહ્મણો જે ક્ષત્રિયોના પુરોહિતો હતા તે આવી પહોચ્યા અને નમ્રતાપૂર્વક નિવેદન કર્યું કે, આ ક્ષત્રિયો જેમને બ્રાહ્મણોએ પોતાના રક્ષણમાં રાખ્યા છે તે ક્યારેય શસ્ત્ર નહિ ઉપાડે અને વ્યાપાર કરશે, પોતાની ક્ષત્રિય કક્ષાની પ્રવૃત્તિ મૂકી દેશે. આ વિનવણીથી પરશુરામે ક્ષમા આપી, પણ સાથે આ ક્ષત્રિયો વ્યાપાર કરશે અને શાસ્ત્રોમાં મહાન પંડિત બને એવી શરત પણ મૂકી. તપ બીજી એક એક આવી જ દંતકથા મુજબ પરશુરામની પૃથ્વી નક્ષત્રિય કરવાની પ્રતિજ્ઞાથી દધિચી ઋષિએ પોતાને શરણે આવેલા ક્ષત્રિય પુત્રોને બ્રાહ્મણ તરીકે ઓળખાવેલા એથી એના વંશજ બ્રહ્મક્ષત્રિય તરીકે ઓળખાયા. આ દંતકથાઓની સત્યાર્થતા તપાસવી મુશ્કેલ છે. શીખોના દશમાં ગુરુ ગોવિંદસિંઘ પણ ખત્રી હતા એમના માટે ખત્રિઓં શ્રીરામના સુપુત્રોના વંશજ છે. આમ, ક્ષત્રિયોની જેમ બ્રહ્મક્ષત્રિયોનું ઉદગમ સ્થાન પંજાબ છે, તેમની કુળ દેવી હિંગલાજ છે, કેટલાય વૈષ્ણવ સંપ્રદાયના વલ્લભાચાર્યને પણ માને છે.

સૌજન્ય : શ્રી જીતેન્દ્રભાઈ અંતાણી

દધિચી દ્વારા રક્ષાયેલી, પરશુરામ દ્વારા સતાવાયેલી અને માતા હિંગલાજની પ્રસન્ન્તાએ વિશ્વકર્માં પાસેથી કલા સંસ્કારનો વરસો પામેલ આ જ્ઞાતિઓ મૂળ વ્યવસાય રંગરેજ, વણાટ, છાપકામ, સંઘાડિયા અને સુતારી કામ છે. વ્યાપારી ક્ષેત્રે આ જ્ઞાતિએ ભારતભરમાં આગળ પડતું સ્થાન મેળવ્યું છે. આ જ્ઞાતિના વ્યાપારી પ્રતિષ્ઠાનો મહેન્દ્ર એન્ડ મહેન્દ્ર, થાપર ગ્રુપ, મંદાસ, એટલાસ સાયકલ વગેરે દુનિયાભરમાં જાણીતા છે.

સૌજન્ય : શ્રી જીતેન્દ્રભાઈ અંતાણી

ખત્રી જ્ઞાતિ પ્રત્યે દેખીતો પક્ષપાત કરતાં જાણીતા લેખક ચંદ્રકાંત બક્ષી ખે છે કે “બ્રહ્મક્ષત્રીય પડોશમાં રહેતા હોય (કે ઓફિસમાં સાથે હોય) તો તમારા સગા ભાઈ સાથે પણ ઝગડો થાય તો ચિંતા કરો નહી આ લોકો એથીએ વધુ પ્રેમ આપે એવા છે.” જાણીતા લેખક અશોક દવે કહે છે કે, “ આ જ્ઞાતિ દાબડીમાં મૂકી રાખેલ મોતી જેવી કિંમતી છે. નાગરોની સમકક્ષ કહી શકાય એવી બીજી કોઈ પણ જ્ઞાતિ હોય તો તે બ્રહ્મક્ષત્રિય છે. ગુજરાતમાં કડવાચોથની ઉજવણી એકલી આ જ્ઞાતિ જ કરે છે.” આગળ વધતાં અશોક દવે કહે છે કે, “બ્રહ્મક્ષત્રીય સ્ત્રીઓં દેખાવે ધોળી દૂધ જેવી તેને જેઇને ક્યારેક નાગરણોના પણ જીવ બળી જાય. અભ્યાસમાં પણ આ જ્ઞાતિ મોખરે છે.૯૦-૯૫ વર્ષના માજી પણ એમની જમાનામાં ગ્રેજ્યુએટ થયેલ જોવા મળે છે. જો કે કચ્છમાં આ જ્ઞાતિમાં શિક્ષણનું પ્રમાણ ત્રીસેક ટકા જેટલું જ હોવાનું શ્રી નારાયણ શનિશ્ચરા જણાવે છે. આ જ્ઞાતિમાં ગુજરાતમાં જમાઈને દીકરો માનીને તુકારે બોલાવવાનો રીવાજ છે, તો દહેજ પ્રથાની આ સંસ્કારી જ્ઞાતિ વિરોધી છે. ગુજરાતમાં વસતા બ્રહ્મક્ષત્રિયો પોતાને નગર જ્ઞાતિના સમકક્ષ માને છે. એમની અવટંકો પણ નગર જ્ઞાતિને મળતી આવે છે જેમ કે, દેસાઈ, મુન્શી, લાખીયા વગેરે.

સૌજન્ય : શ્રી જીતેન્દ્રભાઈ અંતાણી

વેપાર અને હુન્નર ક્ષેત્રે કાબેલીયત ધરાવતી આ જ્ઞાતિને કચ્છ રાજ્યની ઉન્નતી અને વેપારના વકાસ માટે કચ્છના મહારાવ તરફથી નિમંત્રણ મળતાં આજથી સદા ચારસો વર્ષ પહેલાં ઈ.સ. ૧૫૪૪માં સિંધ અને કરાંચીથી ખત્રીઓ કચ્છમાં આવીને વસ્યા હતા. કચ્છમાં વસતા ખત્રીઓ હિંગલાજ માતા ઉપરાંત વારાઈ માતા (મનઈ માતા), આશર માતા માંડવી અને કચ્છની કુળદેવી માં આશાપુરાને વંદન પૂર્વક માને છે. માંડવી પાસે આવેલા આશર માતાના સ્થાનકે દર વર્ષે આસો સુદ, ૧૪-૧૫ અને વદ ૧ ના સમસ્ત ખત્રી જ્ઞાતિનો મેળો ભરાય છે. આ પ્રસંગે જ્ઞાતિ સમુહભોજન પણ યોજાય છે. બ્રહ્મક્ષત્રીય-ખત્રી કચ્છમાં આવ્યા પછી સર્વાંશે કચ્છી બની ગયેલ છે, કચ્છી ભાષાને પણ રગેરગમાં અપનાવી લીધી છે. કચ્છમાં ભુજ, માંડવી, અંજાર, અબડાસા, તેરા, બીટા, મુન્દ્રા અને મોરજરમાં આ જ્ઞાતિની વસ્તી છે.માંડવીમાં તેઓંની સૌથી વધારે વસ્તી છે. અગાઉ રેશમ વણાટનું કામ માંડવીમાં થતું. મુંબઈના વેપારીઓં મારફત ચીન, બંગાળ અને બુખારીથી રેશમ આવતું અને તેનું વણાટ કામ ખત્રીઓ કરતાં. રેશમ પરની સુંદર રંગોની સખર ભાત રૂકમાવતીના નદીના સુકા પટમાં ખાડા કરીને તેના પાણીથી ચડાવવામાં આવતી. રૂકમાવતીના પાણીનો ગુણ જ એવો હતો કે, એનાથી રંગો પાકા અને સાફ-સુથરા ચડે. એક સમયે એવો હતો કે, માંડવી અને ભુજમાં આવેલી બ્રહ્મક્ષત્રીયોની રંગચુલીઓં રંગાટકામથી ધમધમતી હતી. આજે તો સાવ સુની ભાસે છે. વળી, બ્રહ્મક્ષત્રીયોએ પોતાનો વ્યવસાય પણ જમાનાની અસર તળે બદલ્યો છે. મોટાભાગના બ્રહ્મક્ષત્રિયો અન્ય વ્યવસાય અને નોકરી ધંધા તરફ વળી ગયા છે. જો કે, સુતારી કામનો વ્યવસાય આજે પણ કેટલાયે ચાલુ રાખ્યો છે. બ્રહ્મક્ષત્રિયો એક સમયે માત્ર રંગાટ કામ જ નહી પણ દરિયાપાર પણ પ્રભુત્વ ધરાવતા હતા. એલેકઝાંડર બાટનેસની નોધ મુજબ ઈ.સ.૧૮૨૭માં માંડવીમાં રહેલાં ૨૧૪ વહાણોમાંથી ૨૦ વહાણો બ્રહ્મક્ષત્રિયોના હતા.

સૌજન્ય : શ્રી જીતેન્દ્રભાઈ અંતાણી

હિન્દુ અને મુસ્લિમ બન્ને ધર્મમાં ખત્રી જ્ઞાતિ આવેલી છે, બન્ને જ્ઞાતિઓનો વ્યવસાય પણ રંગરેજનો એક જ સરખો રહ્યો છે. આજથી લગભગ અઢીસો વર્ષ પહેલાં કચ્છમાં માંડવીમાં હિન્દુ અને મુસ્લિમ બન્ને ખત્રી જ્ઞાતિઓ વચ્ચે સુંદર મનમેળ હતો. બન્ને જ્ઞાતિના કારીગરો એક સાથે જ કામ કરતા, જમાતની કોથળી પણ એક જ રહેતી જે હિન્દુ ખત્રી પાસે રહેતી. મુસ્લિમ ખત્રી હિન્દુ ખત્રીને મોટાભાઈ સમાન ગણાતા. બન્ને જ્ઞાતિઓ વચ્ચે વ્યવસાયની જેમ ધાર્મિક વિધિઓને બાદ કરતાં અનેક રીતે રીવાજો પણ એક સરખાં હતા. હિન્દુ ખત્રી જ્ઞાતિની રંગચુલીમાં આવેલ સમાજવાડીનો ઉપયોગ પણ બન્ને કરતાં તો રંગચુલીમાં આવેલ સમાજવાડીનો ઉપયોગ પણ બન્ને કરતાં તો રંગચુલીમાં આવેલ ચુલા પર રંગવાનું કામ પણ એક સાથે જ કરતાં. બન્ને જ્ઞાતિઓ વચ્ચે આ ઐક્ય લાગ લગાટ દોઢસો વર્ષ સુધી રહ્યું હતું. અચાનક કોઈ વિવાદ સર્જાતા ૧૮૭૨માં કચ્છના મહારાવશ્રી પાસે હક્કનો દાવો કરવામાં આવતાં આ વિવાદ વીસ વર્ષ ચાલ્યો અને અંત ૧૮૯૨માં મુસ્લિમ ખત્રીને ૧/૩ ભાગ આપી તેમને ૪૩૩૧ કોરી ચૂકવી આપવામાં આવતાં આવેલ હતો. જો કે આ રીતના વિભાજન પછી પણ આ બન્ને જ્ઞાતિઓ વચ્ચેનો સંપ આજ પર્યત જળવાઈ રહેલ છે. આમ, આ હકીકત કચ્છમાં રહેલી કોમી એકતાનું ઉતમ ઉદાહરણ છે.

સૌજન્ય : શ્રી જીતેન્દ્રભાઈ અંતાણી

બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિએ પોતાની ખૂબ જ ઓંછી વસ્તીમાંથી પણ અનેક રત્નો સમાજને આપ્યાં છે. જે થકી કચ્છ જ નહિ પણ સમગ્ર ગુજરાત ગૌરવ લઇ શકે એવી પ્રતિભાઓ આ જ્ઞાતિમાંથી મળે છે.

સૌજન્ય : શ્રી જીતેન્દ્રભાઈ અંતાણી

મૂળ કચ્છના માંડવીના કચ્છી વિરાંગના તરીકે જાણીતા જેથીબાઈ બ્રહ્મક્ષત્રિય માંડવીથી તેના પતિ પૂજા ટાટારીયા સાથે આજથી ૨૫૦ વર્ષ પહેલાં દીવ ગયા હતાં, દીવમાં જેઠીબાઈનું રંગાટનું કારખાનું હતું. જેઠીબાઈ પોતાના રંગાટના કામ સાથે લોકોના દુ:ખ-દર્દ દૂર કરવાનું સમાજ સેવાનું કાર્ય પણ કરતાં હતાં. દીવની ધરતી પરના પોર્ટુગલ શાસનના ન માં બાપા છોકરાઓને પરાણે ધર્મ પરિવર્તન કરાવવાના અમાનુષી કાયદા સામે જેઠીબાઈ પોતાના કસબના બળ વડે પોર્ટુગલ સરકારને ઝુકાવવામાં સફળતા મેળવી હતી. હિન્દુઓં પ્રત્યે આચરવામાં આવતાં અમાનુષી અત્યાચારને અટકાવવા માટેની અરજી આખી બાંધણીના સાત પડણી નીચે ભીંડી દ્વારા તૈયાર કરેલી ઓઢણી પોર્ટુગલ મહારાણી સમક્ષ રજુ કરી ધાર્યું પરિણામ મેળવ્યું હતું એ આ અમાનુષી કાયદો રદ કરવામાં આવ્યો હતો. એ બાંધણી ‘પણ દ જેઠી’ નામથી ઇતિહાસમાં અમર બની ગઈ છે આજે પણ આ બાંધણી લિસ્બનના સંગ્રાલયમાં છે. આ બાંધણી થકી મરતબો મળ્યા હતાં. જેઠીબાઈએ એના ઘર પાસેથી પસાર થતાં પોર્ટુગીઝ અમલદારો અને નોકરોને સલામી આપવાના હુકમો થયા હતાં, જેઠીબાઈના ઘર પાસે બેન્ડવાજા વગાડવાના હુકમો પણ કરાયા હતાં. જેઠીબાઈની યાદગીરી રૂપે દીવના બસ સ્ટેશનને ‘જેઠીબાઈ બસ સ્ટેશન’ એવું નામાભિધાન કરવામાં આવ્યું છે, તો દીવમાં ચાલતી શહેરી બસ સેવાને પણ ‘જેઠીબાઈ ટ્રાન્સપોર્ટ’ નામ આપવામાં આવ્યું છે. આ બ્રહ્મક્ષત્રિય વિરાંગના માટે આખું ગુજરાત ગૌરવ લે છે.

સૌજન્ય : શ્રી જીતેન્દ્રભાઈ અંતાણી

બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિમાં સુંદરજી સોદાગર પણ મુઠી ઉચેરા જાજરમાન વ્યક્તિ થઇ ગયા. ૧૮મી સદીમાં થઇ ગયેલા સુંદરજી સોદાગર એક કુશળ રાજનીતિજ્ઞ, કુશાગ્ર બુદ્ધિવાળા અને એક સફળ વેપારી હતાં તેમ ઉદાર ધર્મિષ્ઠ પણ હતાં. કચ્છના હિતમાં અનેક દીર્ઘકાલીન વિકાસકામો એમણે કર્યા છે. કચ્છમાં મંદિરોના જીર્ણોધ્ધાર, વાવ – કુવાઓ અને ધર્મશાળાઓનું નિર્માણ વગેરે જેવા અનેક કામો એમણે કર્યા છે. ૧૮૬૯ની સાલમાં કચ્છમાં પડેલા દુષ્કાળ સમયે એમણે અનેક અન્નક્ષેત્રો ખોલ્યા હતાં. કચ્છ અને સૌરાષ્ટ્રને જોડીને કચ્છને એક વિસ્તૃત રાજ્ય બનાવવાની એમની યોજનાને બ્રિટીશ સરકારે પણ માન્યતા આપી હતી પરંતુ ગમે તે કારણોસર તે અમલી બનાવી શકાઈ નહીં. એમના પછી પણ બ્રહ્મક્ષત્રિય સમાજે એમની પરંપરાને જાળવી રાખી છે તેના ઉદાહરણો રૂપે આજે પણ કચ્છમાં ભુજ – માંડવી માર્ગ ઉપર ખત્રી તળાવ, ટપકેશ્વરીમાં આવેલી ધર્મશાળાઓ અને માતાના મઢ ખાતે ચાચર કુંડ પાસે આવેલી ધર્મશાળાઓ આ જ્ઞાતિએ બંધાવ્યની સાંખ અહીં મુકેલા શિલાલેખો પૂરે છે. સ્વ. હરિરામ માધવજી મચ્છર આ જ્ઞાતિના રાવ બહાદુરનો ખિતાબ મેળવનાર પ્રથમ વ્યક્તિ હતાં તો વિલાયત જનાર પણ જ્ઞાતિમાં પહેલ વહેલા હતાં. છેક ઈ.સ. ૧૮૮૯માં તેમણે ઈજનેર તરીકેની પદવી મેળવી હતી. એમની કુશળ ઈજનેરી સલાહ અને માર્ગદર્શન હેઠળ માંડવીના વિજય વિલાસનું નિર્માણ થયું હતું.

સૌજન્ય : શ્રી જીતેન્દ્રભાઈ અંતાણી

બ્રહ્મક્ષત્રીય જ્ઞાતિએ કચ્છ અને સમગ્ર ગુજરાતનું સાહિત્ય જગત ગૌરવ લઇ શકે એવા સાહિત્યકારો પણ આપ્યાં છે. સ્વ. ડૉ.જયંત ખત્રી (૧૯૦૯ – ૧૯૮૬) ગુજરાતી નવલીકાને વળાંક આપનાર ઉતમ સર્જક હતાં. સ્વ. ડૉ. જયંત ખત્રી એ એમની સર્જનયાત્રા દરમ્યાન ત્રણ વાર્તા સંગ્રહો (૧) ફોરાં, (૨) ખરા બપોર અને (૩) વહેતા ઝરણા આપણને આપેલ છે. એમની ‘લોહીનું ટીપું’ વાર્તાને ૧૯૪૫માં ‘મહિડા સુવર્ણ ચંદ્રક’ મળેલ હતો, તો ૧૯૬૮ – ૬૯મ એમના વાર્તા સંગ્રહ ‘ખરા બપોર’ ને ‘ઉમા સ્નેહરશ્મિ પારિતોષિક’ પણ મળેલ હતું. એમની નવલિકા ‘ધાડ’ પરથી ગુજરાતી અને કચ્છીમાં ફિલ્મ નિર્માણનું કાર્ય પણ અંતિમ તબક્કામાં છે. સ્વ. ડૉ. ખત્રી અચ્છા સાહિત્યકારની જેમ અચ્છા ચિત્રકાર પણ હતાં. સામ્યવાદી વિચારસરણીના તેઓં એક સિદ્ધાંતનિષ્ઠ રાજકારણી હતાં. એક કુશળ તબીબ તરીકે માંડવીની જનતા આજે પણ એમને યાદ કરે છે.

સૌજન્ય : શ્રી જીતેન્દ્રભાઈ અંતાણી

સ્વ. બકુલેશ (૧૯૧૦ – ૧૯૭૫) રામજી અર્જુન ગજકંધ એ એમનું મૂળ નામ હતું. તેઓં પણ એવા જ એક ઉચા ગજાના ડૉ. જયંત ખત્રીના સમકાલીન સાહિત્યકાર હતાં. પત્રકાર તરીકે પોતાની કારર્કિદી શરૂ કરનાર બકુલેશે અં મુજબ છ વાર્તા સંગ્રહો આપ્યાં છે. (૧) નિર્વાસ, (૨) ઈશ્કની ખુશ્બુ, (૩) કાદવના કંકુ, (૪) અગનફૂલ, (૫) ખારા પાણી અને (૬) કંકુડી. આ ઉપરાંત ૮૯ જેટલી વાર્તાઓ ગ્રથસ્થ છે. વાર્તાકાર, પત્રકાર એવા બકુલેશ ફિલ્મઉધોગમાં વિજ્ઞાપનક્ષેત્રમાં પણ જાણીતા હતાં. ભુજની ઓલ્ફ્રેડ હાઈસ્કુલના પૂર્વ આચાર્ય સ્વ. દલપતરામ પ્રાણજીવન ખખ્ખર જાણીતા ઇતિહાસકાર હતા. એમના પુત્ર મગનલાલ ખખ્ખર પણ લેખનક્ષેત્રે જાણીતા હતા. તેઓં કુશળ ન્યાયાધીશ હતા. મુબઈ મહાનગરપાલિકામાં ભૂલેશ્વર વિસ્તારના તેંઓ નગરસેવક હતાં. સ્વ. ડૉ. જયંત ખત્રીના પુત્ર શ્રી કિર્તીભાઈ ખત્રી પત્રકારત્વ અને લેખન ક્ષેત્રે જાણીતા છે. એમના કુશળ તંત્રી પદ હેઠળ કચ્છમિતત્રે સારો એવો વિકાસ કર્યો છે. અન્ય સાહિત્યકારો અને કવીઓંમાં માંડવીના નારાયણ શનીશ્ચરા ઉતમ વાર્તાકાર છે. એમની બે નવલકથાઓ પણ પ્રગટ થઇ છે. શ્રેષ્ઠ શિક્ષકનો રાષ્ટ્રીય અવોર્ડ મેળવનાર શ્રી વૃજલાલ ગજકંધ (વ્રજ ગજકંધ) જાણીતા કવિ અને ચિત્રકાર છે. જાહેર જીવન સાથે સંકળાયેલા શ્રી રસિક મામતોરા અને મોરજરના જેઠાલાલ જોગી પણ જાણીતા કવિ છે. હરસુખ સોદાગર જાણીતા ચિત્રકાર છે. નડિયાદના ભાઈલાલ મામતોરા પત્રકાર તરીકે જાણીતા છે. માંડવીના શ્રી હિંમત મિસ્ત્રીએ અબડાસા તાલુકાના છછીના દરિયાકાઠેથી ચાંદીની મોટા પાયે થતી દાણચોરી પકડી પાડી કચ્છનું અને જ્ઞાતિનું ગૌરવ વધાર્યું છે. એમના પિતાજી જેઠાલાલ મિસ્ત્રી આંખના જાણીતા તબીબ હતાં તો ડૉ.સૂર્યકાંત ભેડા ભુજની જનરલ હોસ્પિટલના મુખ્ય સર્જન તરીકે સેવા આપી રહ્યા છે. તેંઓ કચ્છના જાહેર સેવા ક્ષેત્રે પણ સંકળાયેલા છે. શ્રી ઝવેરીલાલ સોનેજી પણ જાહેર સેવા ક્ષેત્રે જાણીતા છે. તેંઓ અખિલ ગુજરાત વિધુત કામદાર સંઘના પ્રમુખ છે. ઈ.સ., ૧૯૪૫માં કરાંચીથી કચ્છમાં આવીને વસેલા સ્વ. કુન્દલાલ ટંડન દાંતના જાણીતા તબીબ હતા, એમના પુત્ર દેવકૃષ્ણ ટંડન કચ્છના ભૂસ્તરશાસ્ત્રના જાણીતા અભ્યાસી છે. શ્રી નારણજી મચ્છર જનસંઘના પાયાના કાર્યકર હતા તેંઓ માંડવી નગરપાલિકામાં ચુંટાયા હતા.

સૌજન્ય : શ્રી જીતેન્દ્રભાઈ અંતાણી

કચ્છી બ્રહ્મક્ષત્રિયો કચ્છ ઉપરાંત ગુજરાત, મુંબઈ અને વિદેશની ધરતી પર પણ ફેલાયેલા છે. ૧૯૯૫માં શ્રી કચ્છી બ્રહ્મક્ષત્રિય પંચાયત, મુંબઈ દ્વારા કરવામાં આવેલ વસ્તી ગણતરી અને સર્વેક્ષણ મુજબ કચ્છી બ્રહ્મક્ષત્રિયના કચ્છમાં અને કચ્છ બહાર કુલ ૧૦૮૬ ઘરોની કુલ વસ્તી ૫૦૨૯ વ્યક્તિઓંની છે જેમાં ૨૪૬૫ સ્ત્રીઓં અને ૨૫૬૪ પુરુષોનો સમાવેશ થાય છે. આજે તેઓંની છ હજારની વસ્તી અંદાજવામાં આવે છે. અન્ય એક કરવામાં આવેલ રસપ્રદ સર્વેક્ષણ મુજબ બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિની કુલ વસ્તીના ૮૭ ટકા લોકો શિક્ષિત છે જેમાં ૨૧૫૩ સ્ત્રીઓં અને ૨૨૧૩ પરુષો શિક્ષિત છે. અહીં જોવાની વાત એ છે કે, આ જ્ઞાતિમાં પુરુષો કરતાં સ્ત્રીઓંમાં શિક્ષણની ટકાવારી વધારે છે. કચ્છી બ્રહ્મક્ષત્રિયના કચ્છ ઉપરાંત ગુજરાત, મુંબઈ અને વિદેશમાં વસેલા પરિવારોની મોજણી પણ કરવામાં આવી છે, તે મુજબ કચ્છમાં ૫૦૯, ગુજરાતમાં (કચ્છ સિવાય) ૧૨૭, મુબઈમાં ૩૭૮, ભારતમાં (મુંબઈ, ગુજરાત સિવાય) ૩૪ અને વિદેશમાં ૩૮ પરિવારો વસે છે. બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિના બાળકોને ઉચ્ચ અભ્યાસ માટે મુંબઈ, અમદાવાદ, ભુજ, ભાવનગર અને જેતપુરમાં આવેલ વિવિધ સંસ્થાઓ અને ટ્રસ્ટો દ્વારા વિવિધ રીતે આર્થિક તથા અન્ય રીતે મદદ કરવામાં આવે છે. પરદેશ અભ્યાસ કરવા માંગતા વિદ્યાર્થીઓને લોન પણ આપવામાં આવે છે.

સૌજન્ય : શ્રી જીતેન્દ્રભાઈ અંતાણી

જ્ઞાતિની વિવિધ સાંસ્કૃતિ, શૈક્ષણિક અને સામાજિક પ્રવુતિઓ માટે કચ્છમાં વિવિધ મંડળો, પંચાયત અને પંચો આવેલાં છે. જેમાં શ્રી કચ્છી બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિ પંચ - માંડવી, શ્રી બ્રહ્મક્ષત્રિય મિત્ર મંડળ – માંડવી, શ્રી ભુજ બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિ પંચાયત, શ્રી ભુજ બ્રહ્મક્ષત્રિય યુવક મંડળ, શ્રી અંજાર બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિ પંચ – અંજાર, અને શ્રી ગાંધીધામ બ્રહ્મક્ષત્રિય મિત્ર મંડળનો સમાવેશ થાય છે. આ સંસ્થાઓ જ્ઞાતિ ઉત્કર્ષની પ્રવૃત્તિઓની સાથે સાથે જ્ઞાતિની મિલ્કતોની વહીવટ, નબળા પરિવારોને આર્થિક સહાય, વિધવા સહાય, ધાર્મિક પર્વો, તિથિઓની ઉજવણી, સરસ્વતી સન્માન, જન્મ – મરણની નોધ, પુસ્તકાલય સંચાલન વગેરે જેવી પ્રવૃત્તિઓ કરે છે. આમ, નાની છતાં ગજામાં મોટી એવી બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિએ અનેક ક્ષેત્રે સિદ્ધિઓ હાંસલ કરી કચ્છને ગૌરવ અપાવ્યું છે.

સૌજન્ય : શ્રી જીતેન્દ્રભાઈ અંતાણી

Latest News
Our Parivar Want to Say Something